અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસમાં બેગેજ બુકિંગની શરૂઆત કરાઈ
તેજસ ટ્રેન
IRCTC ટૂંક સમયમાં જ પ્રીમિયન ટ્રેન મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ માટે લગેજ બુકિંગની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. તેની ખાસ વાત એ હશે કે તેમાં મુસાફરોના ઘરેથી લગેજ લઇને તેમને જ્યાં જવાનું હશે ત્યાં સામાન પહોંચાડવાની વ્યવસ્થા આપવામાં આવશે. આ માટે મુસાફરોએ કિગ્રા દીઠ 110 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ વ્યવસ્થા એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ બુક બેગેજની મદદથી કરવામાં આવી રહી છે.
ફ્લાઇટ કનેક્ટિવિટી પર સર્વિસ નિર્ભર રહેશે
તેજસ એક્સપ્રેસને મુંબઈ સેન્ટ્રલ, બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ જંક્શન અને અમદાવાદમાં ઊભી રાખવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ સર્વિસ સંબંધિત ક્ષેત્રમાં ફ્લાઇટ કનેક્ટિવિટી પર નિર્ભર કરશે. મુંબઈ અને સુરત વચ્ચે ફ્લાઇટ કનેક્ટિવિટી છે પણ આણંદમાં નથી. IRCTCની યોજના છે કે મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની શરૂઆત થવાની સાથે જ બેગેજ બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવે. આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:40 વાગ્યે ઉપડે છે અને રાત્રે 9:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. તેમજ, અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડીને બપોરે 1:10 વાગ્યે મુંબઈ પહોંચશે.
મુસાફરીના એક દિવસ પહેલાં સામાન લઈ જવામાં આવશે
IRCTCના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુસાફરો તેમની ટિકિટ અનુસાર નક્કી કરેલી મર્યાદામાં લગેજ લઈ જવાનું બુકિંગ કરાવી શકે છએ. ફર્સ્ટ એસીના મુસાફરો માટે લગેજની લિમિટ 70 કિલો રહેશે, તેમજ સેકન્ડ એસીના પ્રવાસીઓ માટે 50 કિલો અને સ્લીપર ક્લાસના પેસેન્જર્સ માટે 40 કિલો સુધી રહેશે. મુસાફરો દ્વારા આ સર્વિસની પસંદગી કર્યાં બાદ સર્વિસ પ્રોવાઇડર તરફથી એક એક્ઝિક્યૂટિવ મુસાફરીના એક દિવસ પહેલાં ઘરે આવશે. ત્યાં સામાનની તપાસ કરશે જેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ રાખ્યો હોય તો તેને દૂર કરવામાં આવી શકે. ત્યારબાદ મુસાફરનો સામાન તેને જ્યાં જવાનું છે ત્યાં પહોંચાડવામાં આવશે. આ માટે ટિકિટમાં સરનામાં આપવું પડશે. મુસાફર જિયો ટેગિંગ દ્વારા પોતાનો સામાન ટ્રેક પણ કરી શકશે.