ફિચના અંદાજ અનુસાર ૨૦૨૦-૨૧માં ભારતનો આર્થિક વિકાસદર 3 દશકના તળિયે રહેશે
કોરોના વાઇરસને કારણે ભારતીય અર્થતંત્ર પર અસર નહીં થાય એવું માની રહેલા લોકો ખોટા પડી રહ્યા છે. અગ્રણી એજન્સી ફિચ રેટિંગ્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો આર્થિક વિકાસ દર માત્ર બે ટકા રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
અગાઉ એજન્સીની ધારણા હતી કે જીડીપી વૃદ્ધિ દર ૫.૧ ટકા રહેશે, પણ કોરોના વાઇરસના કારણે બંધ પડી રહેલી આર્થિક પ્રવૃત્તિના કારણે વિશ્વ મંદી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતની વૃદ્ધિનો દર છેલ્લાં ૩૦ વર્ષમાં સૌથી નીચો રહેશે એવું હવે એજન્સી માને છે.
ગત સપ્તાહ દરમ્યાન અન્ય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ ભારતનો આર્થિક વિકાસ દર અગાઉના ૫.૩ ટકાના અંદાજ સામે ઘટાડી ૨.૫ ટકા રહેશે એવી ધારણા વ્યક્ત કરી હતી.
અગાઉ એવી ધારણા હતી કે ચીનમાં કોરોના વાઇરસના કારણે માત્ર ક્ષેત્રીય રીતે પુરવઠો અટકી પડે પણ હવે લૉકડાઉનના કારણે ભારતની નિકાસ અને સ્થાનિક વપરાશ ઉપર પણ અસર પડી શકે છે. વિશ્વમાં જ્યારે મંદી આવી રહી છે ત્યારે ભારતનો આર્થિક વિકાસ દર અગાઉના અંદાજ દર ૫.૧ ટકા સામે, માર્ચ ૨૦૨૧ના રોજ પૂરા થતા નાણકીય વર્ષના અંતે બે ટકા રહેશે જે છેલ્લાં ૩૦ વર્ષમાં સૌથી નીચો વૃદ્ધિ દર રહેશે, એમ ફિચે એક નિવેદનમાં જણાવ્યું હતું. ડિસેમ્બર ૨૦૧૯માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૫.૬ ટકા રહે એવી ધારણા બાદ ચીનમાં વાઇરસ જણાતા ફિચે વર્ષ ૨૦૨૦-૨૧નો વૃદ્ધિ દર ૫.૧ ટકા રહેશે એવી ધારણા માર્ચ મહિનામાં જ વ્યક્ત કરી હતી.
ગ્રાહકોની ખરીદી અટકી પડતાં અથવા ધીમી પડતાં ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના (એમએસએમઈ) એકમોને સૌથી વધુ અસર થશે એવું ફિચે જણાવ્યું હતું. આ એકમોની રોકડની ક્ષમતા ઓછી હોય છે અને તેમની પાસે રોકડની ઉપલબ્ધી પણ ઓછી હોય છે. મંદીના કારણે તેમનું વેચાણ ઘટતાં તેમની લોન પરત કરવાની ક્ષમતા પણ નબળી પડી શકે છે.
ભારત દ્વારા વાઇરસની અસર ખાળવા માટે લેવામાં આવેલાં પગલાંના કારણે નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ સામે નવા પડકાર આવી શકે છે. આવી કંપનીઓની કામગીરી અને તેમની નાણકીય ક્ષમતા ઉપર પણ અસર પડી શકે છે. સરકારના નિયંત્રણના કારણે નૉન બૅન્કિંગ કંપનીઓની કામગીરી ઉપર પણ અસર પડશે, એમ ફિચે જણાવ્યું હતું.
નૉન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ ઉપર ૨૦૧૮ અને ૨૦૧૯માં આવી પડેલી કટોકટી બાદ સ્થિતિ સુધરી રહી હતી ત્યારે જ આ પડકાર આવી પડતા તેમના ક્રેડિટ રેટિંગ પર પણ અસર પડી શકે છે એમ એજન્સીએ જણાવ્યું હતું.