વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં છેલ્લા પખવાડિયા દરમ્યાન તેજીને પગલે કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ટેરિફ વૅલ્યુમાં પણ ૮૨ ડૉલરનો વધારો કરવાની જાહેરાત કરી છે
ફાઈલ તસવીર
વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં છેલ્લા પખવાડિયા દરમ્યાન તેજીને પગલે કેન્દ્ર સરકારે ખાદ્યતેલની આયાત ટેરિફ વૅલ્યુમાં પણ ૮૨ ડૉલરનો વધારો કરવાની જાહેરાત કરી છે. ૧ મેથી લાગુ પડે એ રીતે પામતેલમાં ૮૨ ડૉલર અને સોયાતેલમાં ૨૦ ડૉલરનો વધારો કર્યો છે. કસ્ટમ વિભાગના નોટિફિકેશન મુજબ સોયાતેલની ટેરિફ વૅલ્યુમાં ૨૦ ડૉલરનો વધારો કરીને પ્રતિ ટન ૧૩૧૨ ડૉલર કરી છે, જ્યારે ક્રૂડ પામતેલની ૮૨ ડૉલર વધીને ૧૧૬૩ ડૉલર અને રિફાઈન્ડ પામતેલની ૮૧ ડૉલર વધીને ૧૧૮૬ ડૉલર પ્રતિ ટન રહી છે.
દેશની ખાદ્યતેલોની ઇમ્પોર્ટ એપ્રિલમાં છ ટકા વધવાનો અંદાજ
દેશની ખાદ્યતેલોની ઇમ્પોર્ટ એપ્રિલ મહિનામાં અગાઉના મહિનાની સરખામણીમાં છ ટકા વધવાનો અંદાજ જીજીએન રિસર્ચ દ્વારા મુકાયો હતો. જીજીએન રિસર્ચના અંદાજ અનુસાર દેશની ખાદ્યતેલોની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૧૦.૨૦ લાખ ટન થવાનો અંદાજ છે જે માર્ચમાં ૯.૫૮ લાખ ટન થઈ હતી. ખાસ કરીને પામતેલની ઇમ્પોર્ટમાં ૩૧ ટકા અને સનફલાવરની ઇમ્પોર્ટમાં ૨૫ ટકા વધારો થશે તેની સામે સોયા ડિગમની ઇમ્પોર્ટમાં ૫૯ ટકાનો ઘટાડો થશે, પણ ઓવરઓલ ઇમ્પોર્ટ છ ટકા વધશે. આને કારણે વેપારીઓને કોરોના કાળમાં પણ ઠીક વેપાર થવાની આશા છે.