આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસનો વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૫૮૦૯ કરોડ રૂપિયા થયો છે.
ઇન્ફોસિસનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૧૨ ટકા વધ્યો
આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસનો વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૫૮૦૯ કરોડ રૂપિયા થયો છે. પાછલા વર્ષે સમાન અરસામાં થયેલા ૫૧૯૭ કરોડ રૂપિયાની તુલનાએ આ વર્ષનો નફો ૧૧.૮ ટકા વધારે છે. કંપનીએ જાહેર કર્યા મુજબ તેની કામકાજી આવક વાર્ષિક ધોરણે ૨૨.૯૧ ટકા વધીને ૩૧,૮૬૭ કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે આ જ ક્વૉર્ટરમાં આવક ૨૫,૯૨૭ કરોડ રૂપિયા હતી.
કંપનીએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે એકંદરે આવકમાં ૧૯.૫થી ૨૦ ટકા વધારો થવાની ધારણા વ્યક્ત કરી છે. અગાઉ તેણે ૧૬.૫થી ૧૭.૫ ટકાનો અંદાજ આપ્યો હતો. ઇન્ફોસિસના સીઈઓ અને એમડી સલિલ પારેખે કહ્યું છે કે કંપનીની સારી કામગીરી અને બજાર હિસ્સામાં થયેલી વૃદ્ધિ ક્લાયન્ટ્સે મૂકેલા ભરપૂર વિશ્વાસનું પ્રતિબિંબ છે. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં મોટા કૉન્ટ્રૅક્ટ મળવાને પગલે તેનું કુલ કૉન્ટ્રૅક્ટ મૂલ્ય ૨.૫૩ અબજ ડૉલર થઈ ગયું છે. ક્વૉર્ટરનું ઓપરેટિંગ માર્જિન ૨૩.૫ ટકા રહ્યું હોવાનું જણાવતાં કંપનીએ ઉમેર્યું છે કે ખર્ચ વધવા છતાં માર્જિન સારું રહ્યું છે.