ભારતે ઘઉંની નિકાસ કરવા માટે ઈરાન પાસે મદદ માગી હોવાથી ઈરાને આ વાતની મંજૂરી આપી દીધી છે.
ફાઇલ તસવીર
ભૂખમરા અને અનાજની તંગીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન દેશને ભારતે ૫૦,૦૦૦ ટન ઘઉં મફતમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પાકિસ્તાનની અવળચંડાઈને કારણે આ નિકાસ અટકી હતી, જે હવે વાયા ઈરાન થઈને નિકાસ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે ઘઉંની નિકાસ કરવા માટે ઈરાન પાસે મદદ માગી હોવાથી ઈરાને આ વાતની મંજૂરી આપી દીધી છે. વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે તેમના ઈરાનના સમકક્ષ હોસૈન અમીર અબ્દુલ્લાહિયન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, બાદમાં તેમણે ભારતીય ઘઉં, જીવનરક્ષક દવાઓ અને કોવિડ રસીઓ ઈરાનમાં થઈને અફઘાનિસ્તાનમાં પરિવહન કરવાની મંજૂરી આપવાની ઑફર કરી હતી.
તાજેતરમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયના પરિવહન માટે પાકિસ્તાન સાથે વાત કરી રહ્યું છે, જે લૅન્ડલૉક દેશ છે.
પાકિસ્તાન મંજૂરીમાં વિલંબ કરી રહ્યું હતું જેથી હવે ઈરાનની મદદથી નિકાસ થશે.