કરજના બોજનું વહન કરી રહેલા ફ્યુચર ગ્રુપે ફ્યુચર જનરાલી ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાંથી પોતાનો ૨૫ ટકા હિસ્સો સંયુક્ત સાહસના પાર્ટનર જનરાલીને વેચી દેવાની જાહેરાત કરી છે.
મિડ-ડે લોગો
કરજના બોજનું વહન કરી રહેલા ફ્યુચર ગ્રુપે ફ્યુચર જનરાલી ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપનીમાંથી પોતાનો ૨૫ ટકા હિસ્સો સંયુક્ત સાહસના પાર્ટનર જનરાલીને વેચી દેવાની જાહેરાત કરી છે.
ફ્યુચર ગ્રુપે કરજ ઘટાડવા માટે પોતાની ઍસેટ્સનું વેચાણ શરૂ કર્યું છે. ઉક્ત વેચાણ ૧૨૫૨.૯૬ કરોડ રૂપિયામાં થશે એવી જાહેરાત કરવામાં આવી છે.
ફ્યુચર ગ્રુપની ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ જનરાલીએ સંયુક્ત સાહસમાંથી ફ્યુચર એન્ટરપ્રાઇઝિસનો બાકીનો હિસ્સો ખરીદવાનો વિકલ્પ પણ રાખ્યો છે.
ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ અને જનરાલી પાર્ટિસિપેશન્સ નેધરલૅન્ડ્સ એ બન્નેના સંયુક્ત સાહસ તરીકે ફ્યુચર જનરાલી ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની સ્થાપના થઈ હતી. ઉક્ત સોદાને હવે નિયમનકારી મંજૂરી માટે મોકલવામાં આવશે.
ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ જીવન વીમા ક્ષેત્રના સંયુક્ત સાહસ – ફ્યુચર જનરાલી ઇન્ડિયા લાઇફ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડમાંથી પોતાનો ૩૩.૩ ટકા હિસ્સો પણ વેચી દેવાનો વિચાર કરી રહી છે.
નોંધનીય છે કે જનરાલીને લાઇફ ઇન્શ્યૉરન્સની આ કંપનીમાંનો ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ લિમિટેડનો ૧૬ ટકા હિસ્સો ખરીદી લેવા માટે આ મહિનાના પ્રારંભે કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાની મંજૂરી મળી ગઈ હતી.
ફ્યુચર ગ્રુપે જણાવ્યા મુજબ ઉક્ત વ્યવહારોને પગલે જનરાલી વીમા ક્ષેત્રનાં આ બન્ને સાહસોમાં બહુમતી હિસ્સો ધરાવશે.