સોયાતેલની આયાતમાં મે મહિનામાં ૮૬ ટકાનો વધારો જોવા મળ્યો : રિફાઇન્ડ પામતેલની આયાત એક મહિનાનાં વિરામ બાદ ફરી શરૂ થઈ
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ખાદ્યતેલની આયાત મે મહિનામાં પાંચ મહિનાની ટોચ પર પહોંચી છે અને આગલા મહિનાની તુલનાએ સરેરાશ ૧૮ ટકા અને ગત વર્ષની તુલનાએ ૬૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સોયાતેલની આયાતમાં ૮૬ ટકાનો જંગી વધારો થયો હોવાથી કુલ આયાત વધી છે. સોલવન્ટ એક્સટ્રેકટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાં મે મહિનામાં ખાદ્યતેલની કુલ આયાત ૧૨.૧૩ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ૧૦.૨૯ લાખ ટનની થઈ હતી. આમ આયાતમાં ૧૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષના મે મહિનાની તુલનાએ ચાલુ વર્ષે આયાતમાં ૬૮ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે મે મહિનામાં ખાદ્યતેલની આયાત માત્ર ૭.૨૧ લાખ ટનની થઈ હતી. લૉકડાઉનને કારણે આયાત વેપાર ઘટ્યા હોવાથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. મે મહિનામાં સોયાતેલની આયાત ૮૬ ટકા વધીને ૨.૬૮ લાખ ટનની થઈ છે, જે આગલા મહિને ૧.૪૪ લાખ ટનની થઈ છે. રિફાઈન્ડ પામોલીનની પણ એપ્રિલમાં નીલ આયાત થયા બાદ મે મહિનામાં ૨૦૭૫ ટનની આયાત થઈ છે, જ્યારે ક્રૂડ પામતેલની આયાતમાં ૧૦ ટકાનો વધારો થઈને ૭.૬૬ લાખ ટનની આયાત થઈ છે. ચાલુ સીઝન વર્ષમાં નવેમ્બર ૨૦૨૦થી મે ૨૦૨૧ દરમ્યાન કુલ ખાદ્યતેલની આયાત ૭૪.૮૩ લાખ ટનની થઈ છે જે ગત વર્ષે આજ સમયગાળામાં ૬૯.૧૨ લાખ ટનની આયાત થઈ હતી.