‘સી’ના મતે દેશમાં આ વર્ષે ૧૦૦ લાખ ટન જ સોયાબીનનો પાક થયો
દેશમાં સોયાબીનનું ઉત્પાદન સરકારી અંદાજ કરતાં ઘણું ઘટવાની ધારણા
દેશમાં સોયાબીનનું ઉત્પાદન સરકારના અંદાજ કરતાં ઘણું નીચું થાય એવી સંભાવનાં છ. દેશની અગ્રણી તેલીબિયાં સંસ્થા સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સે અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)એ ચાલુ સીઝન વર્ષમાં સોયાબીનનો પાક ૧૦૦ લાખ ટનનો જ થયો હોવાનો અંદાજ મૂકયો છે, જેની સામે સરકારના ત્રીજા આગોતરા અંદાજ મુજબ સોયાબીનના પાકનો અંદાજ ૧૩૮.૩ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે.
‘સી’ના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ એક પત્રમાં પોતાના સભ્યોને જણાવ્યું હતું કે ‘ત્રીજા આગોતરા અંદાજ મુજબ સરકારે તેલીબિયાં પાકના ઉત્પાદનનો અંદાજ ૩૮૫ લાખ ટનનો મૂક્યો છે, જે ગયા વર્ષે ૩૫૯.૫ લાખ ટનનો મૂક્યો હતો, જેમાં સોયાબીનના પાકનો અંદાજ ૧૩૮.૩ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે અને રાયડાના પાકનો અંદાજ ૧૧૭.૫ લાખ ટનનો મુકાયો છે.
સોયાબીન પ્રોસેસર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સોપા)ના અંદાજ મુજબ સોયાબીનના પાકનો અંદાજ ૧૧૯ લાખ ટનનો મૂકવામાં આવ્યો છે, પરંતુ મોટા ભાગના ટ્રેડ ઍનલિસ્ટોના મતે સોયાબીનનો પાક દેશમાં ૧૦૦ લાખ ટન જેટલો ઓછો થાય એવી ધારણા છે. બજારમાં અત્યારે સોયાબીનની આવકો સાવ કપાઈ ગઈ છે, જેને પગલે સરેરાશ સોયાબીનની બજારમાં ખાસ વેપારો પણ નથી.
સોયાબીનના ભાવ આ વર્ષે ખૂબ જ ઊંચા રહ્યા હોવાથી સરેરાશ બજારનો ટોન મજબૂત રહ્યો હતો અને ભાવ પણ એક તબક્કે વધીને ક્વિન્ટલના ૧૦,૦૦૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યા હતા. સોયાબીનના ઊંચા ભાવને પગલે આગામી ખરીફ સીઝનમાં પણ વાવેતર સારા થાય એવી પૂરી સંભાવના છે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ આત્મનિર્ભર ભારતના અભિયાન અંતર્ગત દેશમાં તેલીબિયાં પાકોનું વાવેતર વધારવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે બીજી તરફ આગામી ચોમાસાની શરૂઆત ક્યારે થાય છે એના પર પણ બજારનો મોટો આધાર રહેલો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદની પેટર્ન ઉપર જ સોયાબીનના પાકનો આધાર રહેલો છે. હાલના સંજોગોમાં સોયાબીનની બજારમાં સરેરાશ સારા વાવેતરની ધારણા છે.