10 October, 2025 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભૌગોલિક પરિસ્થિતિના આધારે મુંબઈ ૬.૯ મૅગ્નિટ્યુડના ધરતીકંપ અને સુનામી સંભવિત ક્ષેત્રમાં આવે છે. આ સંભાવનાને ચેતવણી ગણીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈના બે લાખ નાગરિકોને વિશિષ્ટ તાલીમ આપી છે. સાથે જ BMCએ રિયલ ટાઇમ રિસ્પૉન્સ કૅપેસિટી વધારવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સર્વેલન્સને પણ મજબૂત બનાવ્યું છે.
આખા વર્ષ દરમ્યાન નાગરિકોને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, ફર્સ્ટ એઇડ તથા સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઑપરેશન માટેની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત મુંબઈ માટે જોખમી ગણાય એવી એકવીસથી બાવીસ પ્રકારની કુદરતી અને કૃત્રિમ આફતો સામે સજ્જ થવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. આ જોખમો નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (NDMA) દ્વારા સૂચિત કરવામાં આવ્યાં છે. જપાનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મૉડલને અનુસરીને મુંબઈમાં પણ નાગરિકોને કુદરતી આફતના સમયે બચાવકાર્યમાં તાત્કાલિક મદદ કરી શકે એ માટે આ તાલીમ આપવામાં આવી છે.