11 November, 2025 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જયપુર–મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ૨૦૨૩ની ૩૧ જુલાઈએ રેલવે પ્રોટેક્શન ફોર્સના કૉન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીએ તેની ઑફિશ્યલ ગનથી તેના સિનિયર ઑફિસર તિલકરામ મીણા સહિત ત્રણ પૅસેન્જરોને ગોળી મારીને હત્યા કરી હતી. આરોપી કૉન્સ્ટેબલની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ઘટનાના એક સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે આરોપી ચેતનસિંહને ‘યે ૨૦૦૮ કા બદલા હૈ’ કહેતો સાંભળ્યો હતો.
દિંડોશી કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન સાક્ષી આપવા આવેલા એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે ‘હું કોચના એક છેડેથી બીજા છેડે જઈ રહ્યો હતો ત્યારે મેં એક દાઢીવાળા શખ્સને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો હતો. વળી તેની બાજુમાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સનો જવાન ગન લઈને ઊભો હતો. એ કૉન્સ્ટેબલે ત્યારે કહ્યું હતું કે ‘યે ૨૦૦૮ કા બદલા હૈ.’ તેણે આમ કહીને મુંબઈમાં ૨૦૦૮માં ૨૬/૧૧ના થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.’
એ પછી સાક્ષીએ કહ્યું હતું કે મેં કૉન્સ્ટેલને S-5 કોચ તરફ જતો જોયો હતો અને એ પછી તે પાટા પર ઊતરી ગયો હતો.